આ કળિયુગમાં આપણા ઘરને કુસંપથી બચાવવું હોય, આપણાં બાળકોને સારા સંસ્કાર, સદ્ગુણો આપવા હોય, તેમને ડાહ્યા સુજ્ઞ હરિભક્ત બનાવવા હોય, આપણા ઘરમાં સુખ-સંપ જાળવવા હોય તો આપણા પરિવારની “ઘરસભા” અવશ્ય કરવી જોઈએ. આ ઘરસભા કેવી રીતે કરવી ? તે વિશે થોડું જાણીએ.
ઘરમાં, બગીચામાં કે ટેરેસ પર જ્યાં બધા સભ્યોને સાનુકૂળ હોય તથા કોઈ વિક્ષેપ ન થાય તેમ હોય ત્યાં ઘરસભા કરવાથી વધુ ફાયદો થાય. ઘરસભામાં આપણા ઘરના પ્રથમ સભ્ય એટલે આપણા ઘનુ મહારાજને સારા આસન પર પધરાવી તેમની આજુબાજુ બધા સમૂહમાં બેસી જઈએ.
પરિવારમાં સુજ્ઞ વડીલ ભક્ત હોય તેમણે હાર, કંકુ-ચોખા કે ફૂલ વગેરે વડે મહારાજનું પૂજન કરવું. ત્યારબાદ બધાએ સમૂહમાં ઘનુમહારાજને પ્રાર્થના કરવી. જેમાં ધૂન તથા કીર્તન ગાન કરવા. ત્યારબાદ ઘરના કોઈ પણ સભ્યએ લેખ વાંચવો અને ઘરના બધા સભ્યોએ વારા ફરતી ચરિત્ર પરથી શું શીખ્યા તે કહેવું.
જીવનમાં બનતા પ્રસંગોમાં બાહ્ય દૃષ્ટિથી જોતાં ભક્તને એમ લાગે કે મહારાજ આવું કેમ કરતા હશે? પરંતુ મહારાજ હંમેશા પોતાના ભક્તનું હિત જ કરતા હોય છે.
પોતાના પરિવારમાં કે કોઈના જીવનમાં આવા પ્રસંગો બન્યા હોય તેવા પ્રસંગોની ચર્ચા કરી મહારાજ અને સંતો આપણા માટે કેટલું સહન કરતા હોય છે! તે વિશે મંતવ્યો આપવાં અને ભગવાનને પ્રાર્થના કરવી.
ત્યારબાદ થોડીક રમૂજી વાતો કરવી, એક-બે જોક્સ કહેવા અને ભગવાનને પ્રસાદ ધરાવવો.
એકબીજાને પગે લાગી જય સ્વામિનારાયણ કહીને ઘરસભાની પૂર્ણાહુતિ કરવી.